ગોધરા શહેરના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે AIMIM દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી
ગોધરા
અમદાવાદ હાઈવેને જોડતા ગળનારાનો પ્રશ્ન હલ થવાની શક્યતા
ગોધરા શહેરના મુખ્ય પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે AIMIM પંચમહાલ જિલ્લા સંગઠન દ્વારા રાજ્ય કક્ષાની વડી કચેરીઓમાં રજૂઆતનો ધોધ વરસાવવામાં આવ્યો હતો. જેની અંદર ગોધરા શહેરના વિકાસથી વંચિત વિસ્તારોના વિકાસ માટે મોટા પ્રશ્નોને લઈને રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રુબરુ મુલાકાત કરી આક્રમક રજૂઆત કરવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
ગુજરાત શહેરી વિકાસ મિશન, ગાંધીનગર ખાતે રુબરુ રજૂઆત કરવા ગયેલા AIMIM પંચમહાલ જિલ્લા પ્રમુખ તાહીર મફત તેમજ ઈસ્હાક બોકડા તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે. |
શહેરને સ્પર્શતા મોટા પ્રશ્નોને આવરી લઈ માંગણી કરવામાં આવી
AIMIM પંચમહાલ જિલ્લા સંગઠન દ્વારા ગોધરા શહેરને સ્પર્શતા મોટા પ્રશ્નોને લઈને ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જેની અંદર મુખ્યત્વે,
- સિમલા ગળનારાને રિપેરિંગ કરી અથવા નવું ગળનારું અથવા ઓવરબ્રિજ બનાવવા,
- ગોધરા મેસરી નદીનો વિકાસ કરી રિવરફ્રન્ટ બનાવવા,
- ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં બગીચો તેમજ રમતગમત મેદાન બનાવવા,
- ગોધરા પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોટા કોતર ઉપર બાંધકામ કરી વિકસાવવા તેમજ ગોધરા પશ્ચિમ વિસ્તારમાં ફેરિયાઓ તથા ખાણીપીણીની લારીઓ થકી કમાણી કરતાં લોકો માટે યોગ્ય જગ્યા ફાળવવા,
- વડોદરા હાઈવે નજીક ઈન્ડસ્ટ્રીયલ ઝોનની ફાળવવા જેવા પાંચ મહત્વના મુદ્દાઓ પર રજૂઆત કરીને નિરાકરણ લાવવા માટેની માંગણી કરી છે.
અમદાવાદ હાઈવેને જોડતા ગળનારાનો પ્રશ્ન હલ થવાની શક્યતા
AIMIM દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં અમદાવાદ હાઈવેને જોડતા ગળનારાના પ્રશ્નને અગ્રિમ સ્થાન આપવામાં આવ્યું હતું અને તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિમલા સ્થિત ગળનારાની હાલત વર્ષોથી કફોડી છે. તેને રિપેરિંગ કરવા તેમજ રિપેરિંગ શક્ય ન હોય તો નવુ ગળનારું બનાવવા માટે માંગણી કરાઈ છે.
AIMIM દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર |
મુખ્યમંત્રી સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી
અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લા પ્રમુખ મૌલાના તાહીર મફત તેમજ સંગઠનના સભ્યો હાજર રહી મુખ્યમંત્રીશ્રી, ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ (GUDC), શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમજ તેઓના જણાવ્યા મુજબ દરેક વિભાગમાંથી યોગ્ય જરુરી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. હવે આ મુદ્દે આગળ કયા પ્રકારની કારીગરીમાં થાય છે તે જોવુ રહ્યું.