કોના બાપની દિવાળી? ગોધરા MGVCL ની ખાલી કચેરીમાં એ.સી. - લાઈટો ચાલુ : ઉર્જા બચાવો સુત્રના લીરેલીરા ઉડ્યા
તા. ૦૯ માર્ચ, ૨૦૨૩
ગોધરા
જાહેર રજાના દિવસે અરજદારને RTI અપીલની સુનાવણીમાં બોલાવ્યા બાદ વધુ એક વખત ગોધરા MGVCL કચેરી ચર્ચાના ચગડોળે ચઢી છે. આજે તારીખ ૯ માર્ચના રોજ અધિક્ષક ઈજનેર શ્રી એન.એ.શાહ સાહેબને રજૂઆત કરવા ગયેલા અરજદારને કચેરી બહાર કોઈ કર્મચારી દેખાયા ન હતા. અરજદારે અધિક્ષક ઈજનેરની કચેરી ખોલીને જોતા શ્રી એન.એ.શાહ સહિત સ્ટાફના પણ કોઈ કર્મચારીઓ જોવા મળેલ નહી. પરંતુ તમામ ટ્યુબ લાઈટ અને A.C. ચાલુ હાલતમાં જોવા મળેલ હતી. ત્યાં "ન્યુઝ એક્સપ્રેસ ગુજરાત" ની ટીમ પહોંચી તેની તસવીર કેમેરામાં કંડારેલી હતી.
ખાલી કચેરીમાં લાઈટો ચાલુ હાલતમાં દ્રષ્ટિગોચર થાય છે |
"ઉર્જા બચાવો" સુત્રના ઉડ્યા લીરેલીરા : પ્રજાના પૈસાનો બેફામ વેડફાટ
MGVCL કચેરીમાં અનેક જગ્યાએ "ઉર્જા બચાવો" ના સુત્રો લખેલા જોવા મળે છે. જ્યારે તેનાથી તદ્દન વિપરીત કચેરીમાં ઉર્જાનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. તે જોતા ઉર્જા બચાવો ફક્ત દિવાલ પર લખવા પુરતુ જ રાખ્યું હોય તેવુ નજરે ચડ્યું હતું.
ઉર્જા બચાવોનું બોર્ડ MGVCL કચેરીમાં દિવાલ પર ચોંટાડેલ જોવા મળે છે. |
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ૧૪ ડિસેમ્બરના રોજ વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમો કરી ઉર્જા બચાવવા માટે લોકજાગૃતિના કાર્યક્રમો તેમજ જાહેરાતો કરવામાં આવે છે. તેનાથી તદ્દન વિપરીત ખુદ MGVCL ની કચેરી દ્વારા ઉર્જાનો તેમજ પ્રજાના પૈસાનો વેડફાટ થતો જોવા મળ્યો હતો.
MGVCL ગોધરા ખાલી કચેરીમાં ખાતે લાઈટો અને AC ચાલુ હાલતમાં જોવા મળેલ હતી. |
ત્યારે MGVCL મેનેજિંગ ડિરેક્ટર તેમજ રાજ્ય સરકાર દ્વારા ગોધરા MGVCL કચેરીની લાલિયાવાડી અંગે વિશેષ ધ્યાન દોરી અધિકારીઓને શિસ્ત તેમજ ખુદનો હેતુ પૂર્ણ કરવા અંગે માર્ગદર્શન આપવાની તેમજ ખાતાકીય પગલા ભરવાની તાતી જરુરીયાત ઉભી થઈ હોય તેવું હાલના તબક્કે જોવા મળી રહ્યું છે.